મીઠું એક એવો પદાર્થ છે કે જેના વિના ખોરાકનો સ્વાદ અધૂરો છે. મીઠું ખોરાકનો સ્વાદ વધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી કે મીઠું સ્વાસ્થ્ય સાથે પણ તે જ કરે છે જે સ્વાદ સાથે કરે છે, કારણ કે કહેવાય છે ને કે કોઈ પણ ચીજ વધુ સારી નથી હોતી.
કેટલાક લોકોને વધુ મીઠું ખાવાની ટેવ હોય છે. ખોરાકમાં યોગ્ય મીઠું હોવા છતાં, તેઓ વધુ મીઠું ખાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જો કે એક ચોક્કસ માત્રા કરતા ઓછું મીઠું ખાવાથી પણ સમસ્યા થાય છે. તો આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કેટલું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
એક સંશોધન મુજબ, વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી શરીરને એવી રીતે નુકસાન થાય છે કે જો ખોરાકમાં મીઠાની માત્રા ઓછી કરવામાં આવે તો પણ નુકસાન ઓછું થતું નથી.
નિષ્ણાતો માને છે કે લાંબા સમય સુધી વધુ મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે, જેનાથી હાર્ટને નુકસાન થાય છે. તેથી ચોક્કસ માત્રામાં જ મીઠું ખાવું જોઈએ. ઘણા ડોકટરો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વધારે માત્રામાં મીઠાનું સેવન કરવાથી હાર્ટ રોગોનું જોખમ પણ વધી જાય છે.
આ સાથે જ તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થાય છે. આટલું જ નહીં, જો તમે જરૂર કરતાં વધુ મીઠું ખાશો, તો ડિહાઇડ્રેશન થવાની સંભાવના પણ રહે છે.
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર વ્યક્તિએ દરરોજ 2,300 મિલિગ્રામ મીઠાનું સેવન કરવું જોઈએ. જો કે, તેની આદર્શ માત્રા 1,500 મિલિગ્રામ હોવાનું કહેવાય છે. તેથી પ્રયત્ન કરો કે દરરોજ તેનાથી વધારે મીઠાનું સેવન ન કરો.
પરંતુ લોકોનું ધ્યાન આ તરફ જતું નથી અને તેઓ અજાણતાં ઘણા પ્રકારના રોગોને આમંત્રણ આપે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, અમેરિકામાં રહેતા લોકો દરરોજ ચોક્કસ માત્રા કરતા વધારે મીઠાનું સેવન કરે છે.
અહીં દરરોજ એક વ્યક્તિ લગભગ 3,400 મિલિગ્રામ મીઠું ખાય છે. ખરેખર અમેરિકા માં અડધાથી વધુ લોકો પેક્ડ ખોરાકનું સેવન કરે છે, જેના દ્વારા તેમના શરીરમાં વધારે માત્રામાં મીઠું પહોંચે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે.
વૈજ્ઞાનિકોએ પંદર વર્ષ સુધી 12000 લોકોના શરીર પર સોડિયમ અને પોટેશિયમની અસરને સમજવા માટે સંશોધન કર્યું હતું. આ સંશોધનનાં અંત સુધીમાં 2270 લોકોનાં મોત થયા હતાં. તેમાંથી 825 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા હતા,
જ્યારે 433 લોકો સ્ટ્રોક અથવા બ્લડ ક્લૉટને કારણે મૃત્યુ પામ્યા હતા. સંશોધન પરથી આ વાત સામે આવી છે કે મોટાભાગના લોકો વધુ સોડિયમ અને ઓછું પોટેશિયમ લેવાની ભૂલ કરે છે. તેઓ જાણતા નથી કે સોડિયમ બ્લડ પ્રેશર વધારે છે, ત્યારે પોટેશિયમ બ્લડ પ્રેશર ઓછું કરે છે.
આ પ્રક્રિયા શરીરનું સંતુલન જાળવવામાં વ્યક્તિની મદદ કરે છે. વધુ સોડિયમ અને ઓછું પોટેશિયમ લેનારા લોકો ઝડપથી મૃત્યુનો શિકાર બને છે. ખાસ કરીને આમાંના અડધા લોકોમાં હાર્ટ એટેક આવવાની સંભાવના 200 ટકા સુધી વધી જાય છે.