ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જંગલના પ્રાણીઓ પાણીના કુદરતી સ્ત્રોત અને કુત્રિમ સ્ત્રોતને શોધતા હોય છે. આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના દાતાર રોડ પર આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક સિંહ આવી ચડ્યો હતો.
જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં 40 થી 50 સિંહો હોવાનું વન વિભાગે જણાવ્યું છે. ત્યારે કેટલાય સિંહ પરિવાર વધુ ગરમી હોવાને કારણે રેવન્યુ વિસ્તાર છોડી ઉનાળાની ગરમીથી બચવા ઠંડક ભર્યા વાતાવરણમાં આવી ચડતા હોય છે.
વન વિભાગ દ્વારા પણ સિંહને કોઈપણ પ્રકારની કનગડત ન થાય અને ગીરનું ઘરેણું કહેવાતા વનરાજ પોતાની મસ્તીમાં હરી ફરી શકે તે માટે અલગ-અલગ ટીમો બનાવી જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવતું હોય છે.
વિલિંગન ડેમ ખાતે આવી ચડેલા સિંહ ડેમ પર મસ્તી કરતો જોવા મળ્યો હતો. ત્યારે ડેમના કાઠે અણધાર્યા સિંહના આગમનને પગલે પ્રવાસીઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. આ બાબતે ગિરનાર વિભાગના આરએફઓ અરવિંદ ભાલીયાને પૂછતા તેમને જણાવ્યું હતું કે, જૂનાગઢના વન વિભાગ સિંહોની સુરક્ષા માટે હંમેશા ખડે પગે રહેતું આવ્યું છે. સિંહો દ્વારા જ્યારે જંગલ છોડવામાં આવે છે ત્યારે વન વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા તેમને જંગલ તરફ મોકલવાના પ્રયત્નો કરવામાં આવે છે.